September 8, 2024

કુકી સંગઠનનો અમિત શાહને પત્ર; સુરક્ષા દળો અને NIA પર ગંભીર આરોપો

Kuki organization: મણિપુરના અગ્રણી કુકી સંગઠન ઈન્ડિજિનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ (ITLF) વતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા અને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવીને રાજકીય ઉકેલ શોધવાની વાત કરવામાં આવી છે. આ ઉપરાંત, મણિપુરના જીરીબામ જિલ્લાના ફૈટોલ ગામના એક કિશોર સહિત 2 ગ્રામવાસીઓની ધરપકડ અને કેન્દ્રીય સુરક્ષા દળો દ્વારા 7 કુકી મહિલાઓની મારપીટની નિંદા કરવામાં આવી છે. પત્રમાં લખ્યું હતું કે, ‘એલ. હેંગજોલ ગામના વડાના ઘરે આગ લગાવ્યા બાદ ત્રણ ગ્રામજનોની ધરપકડ કરવામાં આવી હતી. સુરક્ષા દળો દ્વારા માર મારવામાં આવેલી પાંચ કુકી મહિલાઓને સારવાર માટે નોની હોસ્પિટલમાં લઈ જવી પડી હતી. આ સિવાય સુરક્ષા દળો પર કુકી નેતાના ઘરને આગ લગાડવાનો આરોપ છે.

આ બંને ઘટનાઓ બાદ મણિપુર પોલીસનું નિવેદન આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ગામમાં આગ ઓલવવાનો પ્રયાસ કરતી વખતે મણિપુર પોલીસ અને મણિપુર ફાયર સર્વિસ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ પછી સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જ્યાં 2 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હેંગજોલ ગામમાં પકડાયેલા 3 શખ્સો અંગે પોલીસે પોતાનું વલણ રજૂ કર્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે તેઓ આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા હતા અને બાદમાં તેમને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપવામાં આવ્યા હતા.

કુકી સમુદાયના પત્રમાં NIA પર લગાવવામાં આવેલા આક્ષેપો
પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે બહુમતી સમુદાય રાજ્યના સંસાધનો પર નિયંત્રણ મેળવી રહ્યો છે. કુકી-ઝોસ સામે વંશીય સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. NIAના સંદર્ભમાં એવું કહેવામાં આવ્યું હતું કે તે પોતાના સમુદાયની રક્ષા કરનારાઓને આતંકવાદી ગણાવી રહી છે અને આવા આરોપમાં તેમની ધરપકડ કરવામાં આવી રહી છે. તપાસ એજન્સીનો ઉપયોગ દમનના હથિયાર તરીકે ન થવો જોઈએ. તેમાં કહેવામાં આવ્યું છે કે એક વખત રાજકીય ઉકેલ આવ્યા પછી સાચી બાબતોને ઉઠાવી શકાય છે.