September 8, 2024

ડોભાલને ન ગમી અમેરિકાની ધમકી, NSAએ સુલિવનને લગાવ્યો ફોન અને…

NSA Ajit Doval: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રશિયાની મુલાકાત બાદ ભારત-અમેરિકાના સંબંધોમાં અસ્વસ્થતાના કેટલાક સંકેતો જોવા મળ્યા છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને તાજેતરમાં કહ્યું હતું કે ભારત માટે લાંબા સમય સુધી રશિયા પર વિશ્વાસ કરવો એ યોગ્ય નિર્ણય નથી. આ સિવાય ભારતમાં તૈનાત અમેરિકન એમ્બેસેડર એરિક ગારસેટીનો ધમકીભર્યો સ્વર જોવા મળ્યો છે. ગારસેટ્ટીએ ગુરુવારે દિલ્હીમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે જ્યારે અન્ય દેશો નિયમો આધારિત સિસ્ટમની વિરુદ્ધ જાય છે ત્યારે ભારત અને અમેરિકાએ લોકતાંત્રિક સિદ્ધાંતોનું સમર્થન કરવું જોઈએ.

આ પછી ભારતનો વારો હતો. આ મોરચો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પોતે સંભાળ્યો હતો. તેમણે શુક્રવારે તેમના અમેરિકન સમકક્ષ જેક સુલિવાન સાથે ફોન પર વાત કરી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે ડોભાલ અને સુલિવને શાંતિ અને સુરક્ષા તરફના વૈશ્વિક પડકારોનો સામનો કરવા અને ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ વિસ્તૃત કરવા માટે સામૂહિક રીતે કામ કરવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો.

વિદેશ મંત્રાલયે કહ્યું કે બંને દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો સહિયારા મૂલ્યો અને સમાન વ્યૂહાત્મક અને સુરક્ષા હિતોના આધારે ભારત-અમેરિકા સંબંધોને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરવા સંમત થયા છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “તેઓએ દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય ચિંતાના મુદ્દાઓ અને જુલાઈ 2024માં ‘ક્વાડ’ ફ્રેમવર્ક હેઠળ આગામી ઉચ્ચ-સ્તરીય બેઠકો પર ચર્ચા કરી હતી.”

આ પણ વાંચો:  દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી, અતિભારે વરસાદથી જનજીવન ખોરવાયું

અમેરિકન NSAએ શું કહ્યું?
અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની મોસ્કો મુલાકાત અંગે ટીવી ચેનલ ‘MSNBC’ પર પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતાં આ ટિપ્પણી કરી હતી. સુલિવને કહ્યું, “અમે ભારત સહિત વિશ્વના દરેક દેશને સ્પષ્ટ કરી દીધું છે કે લાંબા ગાળાના, ભરોસાપાત્ર ભાગીદાર તરીકે રશિયા પર આધાર રાખવો એ સારી શરત નથી.”

સુલિવાન ગયા મહિને તેમના ભારતીય સમકક્ષ અજીત ડોભાલ સાથે મુલાકાત માટે ભારત આવ્યા હતા. અમેરિકાના ટોચના અધિકારીએ તેમની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી સાથે પણ મુલાકાત કરી હતી. સુલિવાને કહ્યું, “રશિયા ચીનની નજીક આવી રહ્યું છે. વાસ્તવમાં તે ચીનનું ભાગીદાર બની રહ્યું છે. આ રીતે તેઓ હંમેશા ભારતને બદલે ચીનનો સાથ આપશે. જોકે, તેમણે સ્વીકાર્યું કે ભારત જેવા દેશોના રશિયા સાથે ઐતિહાસિક સંબંધો છે અને આ પરિસ્થિતિ રાતોરાત નાટકીય રીતે બદલાવાની નથી.

વડાપ્રધાન મોદી 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટ માટે બે દિવસ માટે રશિયામાં હતા અને યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે તેમની મુલાકાત પર પશ્ચિમી દેશોએ નજીકથી નજર રાખી છે. મંગળવારે પુતિન સાથેની વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ રશિયન રાષ્ટ્રપતિને કહ્યું કે યુક્રેન સંઘર્ષનો ઉકેલ યુદ્ધના મેદાનમાં શક્ય નથી અને બોમ્બ અને ગોળીઓ વચ્ચે શાંતિના પ્રયાસો સફળ થતા નથી.