September 8, 2024

‘રાજ્યોને ખનીજ પર રોયલ્ટી વસૂલવાનો કાનૂની અધિકાર’, સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને ફટકો

Supreme Court on Mines Royalty: કોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકારને એમ કહીને ફટકો આપ્યો હતો કે રાજ્યોને ખાણો અને ખનિજ જમીનો પર રોયલ્ટી વસૂલવાનો બંધારણ હેઠળ કાયદાકીય (કાનૂની) અધિકાર છે. નવ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે 8:1 બહુમતીથી ચુકાદો આપ્યો હતો કે ખનિજોના બદલામાં ચૂકવવામાં આવતી રોયલ્ટી ટેક્સ નથી. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે પોતાના અને બેન્ચના સાત ન્યાયાધીશો વતી ચુકાદો વાંચતા કહ્યું કે સંસદને બંધારણની સૂચિ IIની એન્ટ્રી 50 હેઠળ ખનિજ અધિકારો પર કર લાદવાની સત્તા નથી. બંધારણની સૂચિ IIની એન્ટ્રી 50 ખનિજ વિકાસ અને ખનિજ અધિકારો પરના કરને લગતા નિયમો સાથે વ્યવહાર કરે છે.

બહુમતીનો ચુકાદો વાંચતા ચીફ જસ્ટિસે કહ્યું હતું કે સર્વોચ્ચ અદાલતની સાત સભ્યોની બંધારણીય બેંચનો 1989નો ચુકાદો ખોટો હતો. અગાઉ, સુનાવણી શરૂ થતાં, મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે બેન્ચે બે અલગ-અલગ ચુકાદા આપ્યા અને જસ્ટિસ બીવી નાગરત્ના તેનાથી અસંમત હતા. યમુર્તિ નાગરત્નાએ પોતાનો ચુકાદો વાંચતી વખતે કહ્યું હતું કે રાજ્યો પાસે ખાણો અને ખનિજો ધરાવતી જમીન પર ટેક્સ લગાવવાની કાયદાકીય ક્ષમતા નથી.

ખાણ અને ખનીજ (વિકાસ અને નિયમન) અધિનિયમ, 1957 હેઠળ ખનીજ પર ચૂકવવાપાત્ર રોયલ્ટી ટેક્સ છે કે કેમ તે અંગેના અત્યંત વિવાદાસ્પદ મુદ્દા પર બેન્ચે નિર્ણય કર્યો હતો અને શું માત્ર કેન્દ્ર પાસે આ પ્રકારની વસૂલાત કરવાની સત્તા છે કે રાજ્યોને પણ તેમના પ્રદેશમાં ખનિજની જમીનો પર વસૂલાત કરવાની સત્તા છે? બંધારણીય બેંચના અન્ય સભ્યોમાં જસ્ટિસ હૃષીકેશ રોય, જસ્ટિસ અભય એસ ઓકા, જસ્ટિસ જેબી પારડીવાલા, જસ્ટિસ મનોજ મિશ્રા, જસ્ટિસ ઉજ્જલ ભુઈયા, જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ જ્યોર્જ મસીહનો સમાવેશ થાય છે.