September 8, 2024

સંતાનની ખોટ પૂરી કરવા બાળકનું અપહરણ કર્યું, પોલીસે 48 કલાકમાં શોધી કાઢ્યો

અમિત રુપાપરા, સુરતઃ શહેરના કતારગામ વિસ્તારમાંથી અપહરણ થયેલા પાંચ વર્ષના માસુમ બાળકને માત્ર 48 કલાકમાં શોધી કાઢી સુરત અને અમદાવાદ રેલવે પોલીસે સરાહનીય કામગીરી કરી છે. સુરતના કતારગામ સ્થિત લલિતા ચોકડી પાસે આવેલા ફૂટપાથ પર ભિક્ષુક સાથે રહેતી વિધવા મહિલાના બાળકને શોધી પોલીસે ફરી ભેટો કરાવ્યો છે. ભંગાર લે-વેચનો ધંધો કરતા યુવકે પુત્રની ખોટ પૂરી કરવા માટે આ અપહરણ કર્યાનું નિવેદન પોલીસ સમક્ષ આપ્યું છે. જો કે, માનવ તસ્કરીની પણ આશંકા પોલીસે વ્યક્ત કરી છે. જેથી આરોપીની ઊંડાણપૂર્વકની પૂછપરછ પોલીસે હાથ ધરી છે.

સાતમી જુલાઈના રોજ રથયાત્રાના દિવસે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા લલિતા ચોકડી નજીકથી માસુમ પાંચ વર્ષના બાળકનું અપહરણ થયું હતું. બાળકોના અપહરણની ઘટનાને લઈને સુરત પોલીસ પહેલાથી જ ખૂબ જ પ્રયત્નશીલ છે. જેથી આ ઘટનામાં પણ પોલીસે ગંભીરતા દાખવી તાત્કાલિક ધોરણે અપહરણનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, સાતમી જુલાઈના રોજ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી લલિતા ચોકડી નજીક એસએમસીના ફૂટપાથ પર ભિક્ષુક સાથે રહેતી વિધવા મહિલા પોતાના બંને બાળકો જોડે રથયાત્રા જોવા માટે ગઈ હતી.

આ પણ વાંચોઃ પાલડીમાં પુત્રએ માતાની હત્યા કર્યા બાદ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો

રથયાત્રામાંથી પરત ફર્યા બાદ પાંચ વર્ષનો બાળક રમવા માટે જતો રહ્યો હતો. તે પરત ન ફરતા માતાએ ભારે શોધખોળ આદરી હતી. પરંતુ બાળકની કોઈ ભાળ ન મળતા માતાએ પોલીસના દ્વાર ખખડાવ્યા હતા. કતારગામ પોલીસ મથકે પહોંચેલી માતાની આપવીતી સાંભળી પોલીસે સૌપ્રથમ અપહરણનો ગુનો દાખલ કરી તાત્કાલિક ધોરણે બાળકની શોધખોળ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી. કતારગામ પોલીસે આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસ કર્યા હતા. પરંતુ પોલીસને બાળકની કોઈપણ ભાળ મળી ન હતી. જો કે, એક સીસીટીવી કેમેરામાં બાળક નજીકમાં આવેલી ભંગારની દુકાનમાં જતો નજરે પડ્યો હતો. જેથી ભંગાર લે-વેચ કરતા દિપક બાબુરાવ ઇંગળે પર પોલીસને શંકા ગઈ હતી. પોલીસને જાણવા મળ્યું હતું કે, બાળક અને દીપક વચ્ચે મિત્રતાના સંબંધો હતા.

દિપક અવારનવાર બાળકને પોતાનો મોબાઈલ ગેમ રમવા માટે આપતો હતો. બાળકના અપહરણ બાદ દિપક પણ ગાયબ હોવાના કારણે પોલીસની શંકા પણ પ્રબળ બની હતી. જેથી સ્ટેટ કંટ્રોલરૂમમાં બાળકના અપહરણ અંગેના મેસેજ પાસ કરવામાં આવ્યા હતા. આ વચ્ચે સુરતની કતારગામ પોલીસ અને અમદાવાદ રેલવે પોલીસ તેમજ અમદાવાદ ડીસીપી ઝોન-2ની ટીમ દ્વારા સંકલન સાંધી બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

આ દરમિયાન અમદાવાદ રેલવે પોલીસ દ્વારા માધુપુરાથી આરોપી દીપક બાબુરાવ ઇંગ્લેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીના કબજામાંથી પોલીસે બાળકને મુક્ત કરાવી માતા જોડે ભેટો કરાવ્યો હતો. ત્યારબાદ આરોપીનો કબ્જો અમદાવાદ પોલીસ દ્વારા સુરત પોલીસને સોંપવામાં આવ્યો હતો. જ્યાં સુરતની કતારગામ પોલીસ દ્વારા આરોપીનો કબ્જો મેળવી ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

આરોપી લલિતા ચોકડી નજીક ભંગારની નાની દુકાન ધરાવે છે. જે બાળકનું અપહરણ કર્યું તે બાળક અને તેના વચ્ચે મિત્રતા ભર્યો સુમેળ ચાલી આવ્યો હતો. આરોપી ગેમ રમવા માટે બાળકને મોબાઈલ પણ આપતો હતો. આરોપી બાળકને ખૂબ જ પસંદ કરતો હતો. આરોપીના લગ્ન પણ થોડાં સમય પહેલા થયા હતા અને તેને સંતાનમાં બાળક પણ નહોતું. જેથી બાળકની ખોટ પૂરી કરવા અપહરણ કર્યાની કબૂલાત આરોપીએ પોલીસ સમક્ષ કરી હતી.

મહત્વનું છે કે, આરોપીનો કોઈ બદઈરાદો નહોતો. સંતાનની ખોટ પૂરી કરવા તેણે આ અપહરણ કર્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી ભલે કહેતો હોય કે સંતાનની ખોટ પૂરી કરવા તેણે આ અપહરણ કર્યું છે. પરંતુ પોલીસે માનવ તસ્કરીની આશંકાવાની વ્યક્ત કરી છે. જે એન્ગલથી પણ પોલીસ આરોપીની હાલ પૂછપરછ કરી રહી છે. જ્યાં આરોપીનો કોઈ બદઇરાદો હતો કે કેમ તે પોલીસ તપાસ બાદ બહાર આવી શકે છે.